કોરોના વાયરસ લોકડાઉનના લીધે રાજસ્થાનના કોટામાં ફસાયેલા બિહારના વિદ્યાર્થીઓએ ઘર વાપસી માટે ભૂખ હડતાળ શરૂ કરી દીધી છે. તેમણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પોતાના ઘરે જવા માટે બસો મોકલવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેટલાંય બીજા રાજ્યોના વિદ્યાર્થીઓ અહીંથી પોતાના ઘરે પહોંચી ગયા છે એવામાં અમને પણ અહીંથી લઇ જવાની વ્યવસ્થા કરો. જો કે બિહાર સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે કોટાથી વિદ્યાર્થીઓને લાવવા હાલ શકય નથી. 

 

લોકડાઉનના લીધે કોટામાં ફસાયેલા અંદાજે 18000 કોચિંગ વિદ્યાર્થી પોત-પોતાના ઘરે પાછા ફરી ચૂકયા છે. લોકડાઉનની જાહેરાત બાદ મેડિકલ (નીટ) અને એન્જિનિયરિંગ પ્રવેશ (JEE) પરીક્ષા માટે કોચિંગ લઇ રહેલા 40000 વિદ્યાર્થીઓ કોટામાં ફસાયા હતા. અત્યાર સુધીમાં અહીંથી પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અંદાજે 18000 વિદ્યાર્થીઓ પોત-પોતાના ઘરે પહોંચી ચૂકયા છે. તેમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના અંદાજે 12500, મધ્યપ્રદેશના 2800, ગુજરાતના 350 અને દાદરા નગર હવેલીના 50 બાળકો સામેલ છે. આજ રીતે કોટાની નજીકના બીજા જિલ્લાના 2200 બાળકોને પણ સકુશળ તેમના ઘરે પહોંચાડી દીધા છે.

 

મુખ્યમંત્રી નીતીશ કુમારે કોટાથી બિહારના વિદ્યાર્થીઓને પાછા બોલાવાને લઇ સહમતી દેખાડી નથી. પરંતુ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત કેટલાંક બીજા રાજ્યોની સરકારની તરફથી પોતાના વિદ્યાર્થીઓને કોટાથી નીકાળ્યા બાદ બિહારના સીએમ નીતીશકુમાર પર પણ દબાણ ચોક્કસ વધી ગયું છે. એટલું જ નહીં હવે કોટામાં બિહારના વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેસી ગયા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: